દેશમાં વધી રહેલા આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદ જેવા જાત જાતના વાદનો નાશ કરવા માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરી તેમાં દરેક ધર્મના હટ્ટા-કટ્ટા સાધુ સંતોને સવેતન ભરતી કરવા જોઈએ
વૈશ્વિક મંદીના વર્તમાન સમયમાં ઘણાંખરા પશ્ચિમી દેશોની બેન્કોએ દેવાળું ફૂક્યું છે. આ બેન્કોના ડૂબવા પાછળના અનેક કારણોમાંનું એક નોન-પર્ફોર્મિંગ એસેટ્સ છે. નોન-પર્ફોર્મિંગ એસેટ્સ એટલે બિન કાર્યક્ષમ સંપત્તિ. જે લોનના વ્યાજ કે હપ્તાની ચૂકવણી તેની નિયત સમયમર્યાદામાં ના કરવામાં આવી હોય તો તેવી સંપત્તિને બિન કાર્યક્ષમ સંપત્તિ કહે છે. એનપીએની આ આર્થિક વ્યાખ્યા છે(1). આ બાબતને વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો એનપીએનો ખ્યાલ માત્ર નાણાકીય ક્ષેત્ર પુરતો મર્યાદિત નથી. સમાજના દરેક વર્ગમાં એવા અનેક લોકો છે જેમની ઉત્પાદકતા લગભગ શૂન્ય છે. એટલું જ નહીં પણ તેમના નિભાવનો ખર્ચ વધુ મોંઘોં છે.
સંતો અને સંસ્કૃતિની ભૂમિ તરીકે વિખ્યાત ભારતમાં હાલ સંતો જ દેશની સૌથી મોટી એનપીએ બની ગયાં છે. ભારતની કુલ વસતિમાં હિન્દુઓ અને મુસ્લિમોની સંખ્યા સૌથી વધારે છે. એટલે સ્વાભાવિક છે કે ધર્મમાં સૌથી વધુ આસ્થા રાખતાં આ બંને ધર્મોમાં ધર્મગુરુઓની સંખ્યા પણ વધારે જ હોવાની. દેશની આશરે એક અબજ કરતાં પણ વધુ વસતિમાં નાખી દેતાંયે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન અને અન્ય ધર્મોના ધર્મગુરુઓ કે સંતોની સંખ્યા આશરે પાંચ લાખ જેટલી હશે. આ પાંચ લાખ લોકોમાંથી ખરેખર સંત કહી શકાય એવા આંગળીને વેઢે કે આંગળીઓના વેઢે ગણાય તેટલાં હશે. બાકીના લોકો તો માત્રને માત્ર ધર્મના નામે લોકોના પૈસે તાગડધિન્ના કરી ખાય છે. આ એવા લોકો છે જેમને કંઈ કામ ધંધો કરવો નથી અને માત્ર મફતના રોટલા ખઈ જલસાં કરવા છે. ચમત્કાર અને ભગવાનની કૃપાના નામે લોકોને મૂર્ખ બનાવતા આ લોકો સમાજની સૌથી મોટી એનપીએ છે.
ભારત જેવા વિકાસશીલ દેશમાં પાંચ લાખ જેટલી વસતિ સાવ નિષ્ક્રિય રહે અને બીજા પર બોજ બને તેનાથી વધારે ખરાબ શું હોઈ શકે. આખો દિવસ ધર્મસ્થાનમાં પડ્યાં રહેવાનું અને કરવાનું કંઈ નહીં. જોકે કેટલાંક સંતો ખરેખર સામાજિક ઉત્થાન માટે કાર્યો કરતા હોય છે પણ તેમની સંખ્યા નહીંવત્ છે. ઘણાં એવા લોકો છે કે જેઓ કોઈ કામ ધંધો ના કરવો પડે એટલે છેવટે સાધુ બની જાય છે. ધર્મને બદનામ કરતાં આવા લોકોને કારણે અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો સંત જેવા પવિત્ર હોદ્દાને હિનતાની દ્રષ્ટિએ જુવે છે. એટલું જ નહીં પણ સંત માટે બાવા કે સાધુડો જેવા અપમાનજક શબ્દો પણ વાપરતાં ખચકાતા નથી. ઘરે ધરે ભિક્ષા માગવા આવતા સાધુ-સંતોની સામે તો હવે લોકો સાવ તિરસ્કારભરી નજરે જુવે છે.
પૈસા, પ્રસિદ્ધિ અને હરામનું ખાવા માટે સાધુ બનેલાં લોકોને કારણે ધર્મમાં પેઠેલાં સડાંના અનેક કિસ્સાઓ અવાર-નવાર પ્રકાશમાં આવતા રહે છે. જેને લીધે ધીમે ધીમે લોકોની ધર્મ પ્રત્યેની અથવા તો સાધુ-સંતો પ્રત્યેની આસ્થા ડગી જાય છે.
ધર્મ હોય કે પેઢી તેની યોગ્ય કામગીરી માટે યોગ્ય વ્યવસ્થા અને વ્યવસ્થાપકો હોવા જરૂરી છે. આજકાલ તો લેભાગુ લોકોએ ધર્મને જ પૈસા કમાવવાની પેઢી બનાવી દીધી છે.
આ એનપીએ ઘટાડવાનો એક ઉપાય જે મને દેખાય છે તે એ છે કે તમામ ધર્મોએ સાધુ બનવા માગતા પોતાના સંપ્રદાયના લોકોની પરિક્ષા લેવી જોઈએ. જેમાં પાસ થનારા લોકોને જ સાધુ બનવાની મંજૂરી મળવી જોઈએ. એટલું જ નહીં પણ આ પરિક્ષામાં બેસવાની લાયકાતો પણ કડક રાખવાની જેથી ગમે તેવી અણઘડ વ્યક્તિ તેમાં ઘૂસી ના જાય. આ ઉપરાંત દેશમાં વધી રહેલા આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદ જેવા જાત જાતના વાદનો નાશ કરવા માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરી તેમાં દરેક ધર્મના હટ્ટા-કટ્ટા સાધુ સંતોને સવેતન ભરતી કરવા જોઈએ.
આમેય આ સાધુ સંતોના કહેવા મુજબ તેમનું મૂળ કામ તો માનવ જાતની સેવા કરવાનું જ છે ને તો આ સેવા કરવા માટે તેમણે ભક્તિની જગ્યાએ થોડો અલગ માર્ગ અપનાવવાનો. તેનાથી દેશને તેમની સેવાનો લાભ તો મળશે અને સાથે સાથે જ દેશમાં શાંતિ સ્થાપવામાં પણ મદદ મળશે.
(1)( A comparative study of Non Performing Assets in India in the Global context - similarities and dissimilarities, remedial measures A paper by By Prashanth K Reddy October 2002 Prashanth K Reddy The Indian Institute of Management Ahmedabad, India )
No comments:
Post a Comment