Thursday, June 30, 2011

દેશના વડાએ જાહેરમાં પોતે નબળો નથી તેમ કહેવું પડે તેનાથી વધારે શરમજનક સ્થિતિ આ દેશ માટે શું હોઈ શકે


હું નબળો નથી એ કહેવાની જરૂર નથી પ્રજાને ખબર જ છે
યથા રાજા તથા પ્રજા, જે દેશના વડાએ જાહેરમાં પોતે નબળો નથી તેમ કહેવું પડે તેનાથી વધારે શરમજનક સ્થિતિ આ દેશ માટે શું હોઈ શકે. એક સમયે આર્થિક નિષ્ણાત, પ્રામાણિક ઓછા બોલાં અને શાંત વ્યક્તિની છાપ ધરાવતા આ વડાપ્રધાન હવે નબળાં અને કઠપૂતળી બની ગયા છે તે દેશના પાંચ વરિષ્ઠ તંત્રીઓ સાથેની તેમની મુલાકાતમાં તેમણે આપેલા જવાબો પરથી સ્પષ્ટ થાય છે.
દેશના પ્રિન્ટ મીડિયાના પાંચ વરિષ્ઠ તંત્રીઓ સાથેની વડાપ્રધાનની મુલાકાત બાદ મોટાભાગના સમાચાર માધ્યમોએ તેમની સ્તુતિ પ્રકાશિત કરી છે. વડાપ્રધાનની સમાચાર માધ્યમોના તંત્રીઓ સાથેની આ પ્રકારની આ બીજી મુલાકાત છે. પ્રસાર માધ્યમો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા, ઈનફેક્ટ સરકારની ધૂમિલ છબીને ઉજળી બનાવવા માટેનો આ આઈડિયા યુપીએના જે પણ ભેજાનો હોય પણ છે ખરેખર કાબિલે તારીફ. કાળા નાણાંનો કકળાટ, ભ્રષ્ટાચાર, બેફામ  મોંઘવારી, આતંકવાદ વગેરે મુદ્દે યુપીએ-2ની સદંતર નિષ્ફળતાને છુપાવવાની મજબૂરીને કારણે જ વડાપ્રધાને પોતાની સફાઈ આપવા મીડિયા સમક્ષ હાજર થવું પડે છે તે જગજાહેર છે. તેમાં તેમની કોઈ મહાનતા છે જ નહીં.

કોઈપણ તંત્રીને વડાપ્રધાનની સામે બેસીને તેમને તેમના કાર્યોનો હિસાબ માગવાની તક મળે તે જે તે તંત્રીના અંગત કેરિયર માટે બહુ મોટી બાબત ગણાય. જોકે અગાઉની જેમ જ આ વખતની મુલાકાતમાં પણ કોઈપણ તંત્રીએ ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાનના ઉડાઉ જવાબોને પડકારવાનો પ્રયત્ન કર્યો નથી. દરેક વખતે મારો આત્મા શુદ્ધ છે, હું નબળો નથી, ભ્રષ્ટ લોકો સામે કડક હાથે કામ લેવામાં આવશે એવા બધાં લૂલા જવાબો આપનારા અને તે છાપનારા પણ દેશની પ્રજાને ડફોળ બનાવી રહ્યા છે. દરેક ગુનેગાર એમ જ કહે છે કે હું ગુનેગાર નથી  એટલે શું તેને નિર્દોષ માનીને જતો કરવાનો?
એક નવા શરૂ થયેલા મરાઠી દૈનિકના તંત્રી તો વડાપ્રધાન પર ઓવારી ગયા છે. આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકારના વડાને તાર્કિક સવાલો પુછી સત્ય બહાર લાવવાની જગ્યાએ તેમણે ભ્રષ્ટાચારના સમાચારો દર્શાવતી ઈલેક્ટ્રોનિક ચેનલોના માથે માછલાં ધોયા છે. વડાપ્રધાનના સૂચિત મૌનને તેઓ તેમની મહાનતામાં ખપાવવા મથી રહ્યા છે. વાસ્તવિક્તા તો એ છે કે વડાપ્રધાન પાસે આ તમામ મુદ્દે બોલવા જેવું કંઈ છે જ નહીં અને ખરેખર બોલવા પણ ઈચ્છતા હોય તો તેમને કોઈ બોલવા દે તેમ નથી. સરકારી સૂત્રો કહે છે કે વડાપ્રધાન હવે નિયમિત રીતે સમાચાર માધ્યમોને આ પ્રકારે મળતાં રહેશે. આમ કરવાથી શું ફેર પડશે? બુદ્ધિજીવી મનાતા લોકો એવી દલીલ કરે છે કે આમ કરવાથી લોકોને સરકારના વહીવટની પારદર્શિતાનો ખ્યાલ આવશે. સાવ વાહિયાત એવી દલીલ છે કારણકે જ્યારે પણ વડાપ્રધાન પત્રકારોને મળશે ત્યારે એકનું એક રટણ ચાલુ રાખશે કે અમે કડક પગલાં લઈ રહ્યાં છીએ, કાયદો તેનું કામ કરશે કે ગુનેગારોને છોડવામાં નહીં આવે વગેરે વગેરે.  
કાલે ઉઠીને તમે જેલમાં બેઠેલાં અફઝલ ગુરુ કે કસાબની મુલાકાત લેશો તો તેની પાસે પણ પોતાના બચાવ માટે રજૂ કરવા માટે હજારો દલીલો હશે, પછી શું કરવાનું ? વડાપ્રધાને લોકપાલના દાયરામાં આવવાની તૈયારી બતાવી છે તેમાં કંઈ હરખાવાની જરૂર નથી. પહેલી વાત તો એ છે કે તેમને જ નહીં પણ દેશભરના તમામ નાગરિકોને ખબર છે કે(કદાચ અન્ના હજારેને પણ) કે લોકપાલનું કોકડું યુપીએ સરકારની આ ટર્મમાં તો નહીં જ ઉકેલાય. બીજી અને મહત્વની બાબત કે લોકપાલની સત્તાઓ વિશે કોઈ સ્પષ્ટતા નથી અને કદાચ સ્પષ્ટતા થશે તો પણ લોકપાલ કંઈ વડાપ્રધાનને સજા કરવા જેટલી સત્તા તો નહીં જ ભોગવી શકે. વડાપ્રધાન કહે છે કે સિવિલ સોસાયટીના બિનચૂંટાયેલા સભ્યો સરકારને કોઈ વાત મનાવવા દબાણ ના કરી શકે, તો ભઈ તમે પોતે પણ ક્યાં લોકો દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન છો? જેટલી વખત ચૂંટણી લડ્યાં છો તેટલી વખત હાર્યા છો. દેશને 21મી સદીમાં લઈ જવાના બણગાં ફુંકતા મનમોહન રાહુલને વડાપ્રધાન બનાવવાની વાતને સમર્થન આપી દેશને વંશપરંપરાગત રાજાશાહી તરફ ધકેલી રહ્યા છે. શું કોંગ્રેસમાં રાહુલથી વધારે સમર્થ અને જનઆધાર ધરાવનાર યુવા નેતા નથી  જેઓ પોતાના દાદા-દાદી, મમ્મી-પપ્પાની આંગળી પકડ્યા વિના આપબળે આગળ આવ્યા હોય. કેમ તેમણે એવા કોઈ યુવા નેતાનું નામ પ્રજા સમક્ષ ના લીધું? કારણકે બોલવાની મંજૂરી દિગ્વિજયને છે મનમોહનને નહીં.

Wednesday, June 8, 2011

ધર્મ અને રાજકારણ


બાબા રામદેવે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને પાછા લાવવા માટે શરૂ કરેલા દેશવ્યાપી અભિયાનને કારણે ઘણાં ચોવટિયાઓના ભવાં ચઢી ગયા છે. આ લોકો એવુ માને છે કે ધર્મગુરુઓ એ  રાજકારણમાં ના પડવું જોઈએ. ધર્મ અને રાજકારણ એ બંને અલગ અલગ બાબત છે. મને ખબર નથી આ લોકોને કેટલા લોકો વિદ્વાન ગણે છે અને ગણે છે તો  કેમ ગણે છે? ધર્મ અને રાજકારણને એકબીજાથી ક્યારેય જુદા કરી શકાય જ નહીં. ધર્મનો સંકુચિત અર્થ કરનારાઓને આ બાબત પચાવતા નહીં આવડે. જો રાજકારણમાં વકીલ, ડોક્ટર, લેખક, એન્જિનિયર કે સફાઈ કામદારથી માંડીને અંડરવર્લ્ડનો ડોન જોડાઈ શકતો હોય તો ધર્મગુરુ કેમ નહીં? ઈનફેક્ટ આપણાં દેશમાં તો આલિયો, માલિયો કે જમાલિયો કોઈપણ રાજકારણમાં જોડાઈ શકે છે. 

ધર્મ અને રાજકારણ એ એક સિક્કાની બે બાજુ છે. ભારતના ઈતિહાસની જ વાત કરો તો અહીં એવા અસંખ્ય દાખલા મળી આવશે જેમાં ધર્મગુરુઓએ રાજાને સંકટ સમયે મદદ કરી મુસિબતમાંથી ઉગાર્યા હોય. રાજકારણમાં ધર્મ એટલે કોઈ ચોક્કસ ફિરકા કે પંથને માનવાની વાત નથી. અહીં ધર્મનો અર્થ નીતિમત્તાને અનુસરી  કોઈપણ પ્રકારના ભેદભાવ વગર રાજનો કારભાર ચલાવવો એમ જ થાય. વરિષ્ઠ લેખક કાન્તિ ભટ્ટ કહે છે કે બાબા રામદેવે રાજકારણમાં માથું માર્યુ તેથી હું તેમની ટીકા કરતો થયો. બાબાની ટીકા કરવા માટેનો તેમનો આ તર્ક તદ્દન અયોગ્ય છે. કોઈ વ્યક્તિ રાજકારણમાં જાય તેથી તેની ટીકા કરવાનું લોજિક શું? મેં આગળ જણાવ્યું તેમ કોઈપણ ફિલ્ડનો માણસ જો રાજકારણમાં જોડાઈ શકે તો બાબા કેમ નહીં? હું બાબાનો સમર્થક છું એવું માની લેવાની જરા પણ ભૂલ ના કરતાં.કાન્તિ કાકા એ બાબાની ટીકા કરવાનું પોતાનુ લોજિક સમજાવ્યું નથી. હશે ... આટલા વરિષ્ઠ અને સંમાનનિય કટાર લેખકથી પણ ક્યારેક ભૂલ થાય. 

બાબાનો હિડન એજન્ડા શું છે એ એમના સિવાય કદાચ કોઈને ખબર નથી, પરંતુ યુપીએ સરકારનો એજન્ડા તો ખબર પડી જ ગઈ છે. ભ્રષ્ટાચારના મહાસાગરમાં ખૂપેલી કોંગ્રેસની અધ્યક્ષતાવાળી આ સરકાર હજી સુધી ટકી રહી છે તે જ ભારતીય પ્રજાની વિર્યહિનતાનો સૌથી મોટો પુરાવો છે. જેઓ આ પરિવર્તન કરવા સક્ષમ છે તેમને તેમ કરવામાં રસ નથી અને જેને રસ છે તેમની પાસે ક્ષમતા નથી. નહીં તો અહીં પણ  4જૂન, 2011ના રોજ ઈજિપ્ત, લિબિયા કે સિરીયાનું પુનરાવર્તન થઈ ગયું હોત. 

જો બાબા ખરેખર ઠગ છે તો પછી આ ઠગને દિલ્હી એરપોર્ટ પર મનાવવા કેન્દ્ર સરકારના ચાર મંત્રીઓ શું કામ દોડી ગયા હતાં? કેમ દિગ્ગીને એ વખતે ખબર નહોતી કે બાબા ઠગ છે? કે પછી એઝ ઓલવેઝ મોડી ખબર પડી? બાબા એ કહ્યુ ના માન્યું એટલે અડધી રાત્રે તેમને અને તેમના અનુયાયીઓને ડંડાવાળી કરી. પેલી કહેવત છે ને કે નબળો ધણી બૈરી પર શૂરો. એમ કાશ્મીર, નક્સલવાદીઓ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોની આત્મહત્યા, પાકિસ્તાનની અડોડાઈ, અમેરિકન પ્રેશર વગેરે વચ્ચે ફસાઈ ગયેલી કોંગ્રેસની અધ્યક્ષતાવાળી યુપીએ સરકારે બિચારા નિર્દોષ સત્યાગ્રહીઓ પર દમનની લાઠીઓ વિંઝી પોતાનું  કહેવાતું પુરુષાતન બતાડવાનો હિન પ્રયત્ન કર્યો છે. જોઈએ હવે પ્રજાને આગામી લોકસભાની ચૂંટણી સુધી કેટલું યાદ રહે છે. કદાચ  લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમય કરતાં વહેલી આવે તેવું પણ બને ! મને નથી લાગતું કે આપણાંમાં એટલું જોર હોય. આ બાબતે હું ખોટો પડું તો પણ મને ગમશે.