કોઈ જઈ કોંગ્રેસને કહે કે સ્લમડોગને મળેલાં એવોર્ડથી
હરખાવાની જરૂર નથી કારણકે તેનાથી તમામ
ભારતીયોની ઓળખ કૂતરાં તરીકે થઈ રહી છે
સ્લમડોગને ઓસ્કાર મળતાં જ દેશભરમાં જાણે કે તહેવાર જેવી ઉજવણી શરૂ થઈ ગઈ. સામાન્ય લોકોની વાત તો જવા દો પણ કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારે પણ આ ફિલ્મને મળેલી સફળતા ? ? ? નો જશ ખાટવા કવાયત શરૂ કરી દીધી છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ સ્લમડોગને મળેલી સફળતાને યુપીએની સિદ્ધી ગણાવવાની શરૂઆત કરી દીધી છે. સિંઘવીએ ઉત્સાહના અતિરેકમાં આવી જઈને કહ્યું કે સ્લમડોગ.. ભારતની, ભારત માટેની અને ભારતીય દ્વારા બનેલી ફિલ્મ છે. કદાચ તેમને વાસ્તવિક્તાની જાણ નહીં હોય. એટલું જ નહીં પણ તેનાથી પણ આગળ વધીને તેમણે તો એમ પણ કહી નાંખ્યું કે યુપીએ સરકારે દેશમાં જે સૌહાદપૂર્ણ વાતાવરણ, સારો વહીવટ પૂરો પાડ્યો છે તેના કારણે સ્લમડોગને એવોર્ડ મળવાની પૃષ્ઠભૂમિ રચાઈ હતી. હવે આનાથી વધારે બુદ્ધિનું જાહેર પ્રદર્શન શું હોઈ શકે.. જો તમારી સરકારે સારો વહીવટ પૂરો પાડ્યો હોત તો દેશમાં સ્લમ..... જેવું જ કંઈ ના હોત.
ચલો એ વાત સાચી કે ઝૂંપડપટ્ટી કે ગરીબાઈ તો દરેક દેશમાં હોવાની પણ કોઈ પણ દેશના નાગિરકોને કૂતરાં તરીકે દુનિયાભરમાં ચિતરી તેમની દુર્દશાનું અતિરેકભર્યું વર્ણન કરનારી ફિલ્મને એવોર્ડ મળ્યો તે કોંગ્રેસની સિદ્ધિ નહીં પરંતુ તેના વહીવટની સરેઆમ નિષ્ફળતાની સાથે સાથે જ તમામ ભારતીયોનું ઘોર અપમાન છે.
સૌથી મહત્વની અને ધ્યાન ખેંચનારી બાબત એ છે કે સ્લમડોગ અગાઉ ભારતમાંથી અનેક ફિલ્મો ઓસ્કાર માટે મોકલાઈ હતી. જોકે તેમાંથી એક પણ ફિલ્મને ક્યારેય કોઈ નાનકડો એવોર્ડ પણ ધરવામાં નહોતો આવ્યો. જે ગાંધી ફિલ્મના કોસ્ચ્યુમ ડીઝાઈનર ભાનુ ઔથૈયા ઓસ્કાર મેળવીને ખુશ થયા કરે છે તે ફિલ્મ પણ વિદેશી દ્વારા બનાવાઈ હતી. તાજેતરના ભૂતકાળમાં ઓસ્કાર માટે મોકલાયેલી કેટલીક ફિલ્મોમાં લગાન, રંગ દે બસંતી, તારે ઝમીન પર અને એકલવ્યમાંથી લગાન અને રંગ દે બસંતી સાથે ઓસ્કારના કર્તાહર્તાઓએ ખરેખર ભયાનક અન્યાય કર્યો હતો. એનું એક માત્ર દેખીતું કારણ બંને ફિલ્મોની કથામાં ગોરા લોકો ખાસ કરીને બ્રિટિશરો સામેની લડતને મુખ્ય રીતે દર્શાવાઈ હતી. રંગ દે બસંતીમાં ગુલામ ભારતની કથાને આજની યુવા પેઢીના વિચારો સાથે તથા લગાનમાં બ્રિટિશરોની અત્યંત પાશવી ગુલામી માનસિકતાને દર્શવાઈ હતી.
બંને ફિલ્મો સ્લમડોગ કરતાં ઘણે અંશે ચઢિયાતી અને વાસ્તવિક્તાની વધુ નજીક હતી. જ્યારે એકલવ્યનું ઓસ્કાર માટે નોમિનેશન વહાલાં-દવાલાંની નીતિને કારણે થયું હોવાનું જગજાહેર છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં કેટલીક આકસ્મિક યોગાનુયોગ ઘટનાઓ બનતી હોય છે પરંતુ સ્લમડોગની જેમ એક જ સમયે આટલાંબધી ઘટનાઓ બનવી તે ચમત્કારથી કંઈ કમ નથી.