Tuesday, February 24, 2009

બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના? ? ? ?


કોઈ જઈ કોંગ્રેસને કહે કે સ્લમડોગને મળેલાં એવોર્ડથી 

હરખાવાની જરૂર નથી  કારણકે તેનાથી તમામ 

ભારતીયોની ઓળખ કૂતરાં તરીકે થઈ રહી છે

 

સ્લમડોગને ઓસ્કાર મળતાં જ દેશભરમાં જાણે કે તહેવાર જેવી ઉજવણી શરૂ થઈ ગઈ. સામાન્ય લોકોની વાત તો જવા દો પણ કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકારે પણ આ ફિલ્મને મળેલી સફળતા ? ? ? નો જશ ખાટવા કવાયત શરૂ કરી દીધી છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ સ્લમડોગને મળેલી સફળતાને યુપીએની સિદ્ધી ગણાવવાની શરૂઆત કરી દીધી છે. સિંઘવીએ ઉત્સાહના અતિરેકમાં આવી જઈને કહ્યું કે સ્લમડોગ.. ભારતની, ભારત માટેની અને ભારતીય દ્વારા બનેલી ફિલ્મ છે. કદાચ તેમને વાસ્તવિક્તાની જાણ નહીં હોય. એટલું જ નહીં પણ તેનાથી પણ આગળ વધીને તેમણે તો એમ પણ કહી નાંખ્યું કે યુપીએ સરકારે દેશમાં જે સૌહાદપૂર્ણ વાતાવરણ, સારો વહીવટ પૂરો પાડ્યો છે તેના કારણે સ્લમડોગને એવોર્ડ મળવાની પૃષ્ઠભૂમિ રચાઈ હતી. હવે આનાથી વધારે બુદ્ધિનું જાહેર પ્રદર્શન શું હોઈ શકે.. જો તમારી સરકારે સારો વહીવટ પૂરો પાડ્યો હોત તો દેશમાં સ્લમ..... જેવું જ કંઈ ના હોત. 

ચલો એ  વાત સાચી કે  ઝૂંપડપટ્ટી કે ગરીબાઈ તો દરેક દેશમાં હોવાની પણ કોઈ પણ દેશના નાગિરકોને કૂતરાં તરીકે દુનિયાભરમાં ચિતરી તેમની દુર્દશાનું અતિરેકભર્યું વર્ણન કરનારી ફિલ્મને એવોર્ડ મળ્યો તે કોંગ્રેસની સિદ્ધિ નહીં પરંતુ તેના વહીવટની સરેઆમ નિષ્ફળતાની સાથે સાથે જ તમામ ભારતીયોનું ઘોર અપમાન છે.

 

સૌથી મહત્વની અને ધ્યાન ખેંચનારી બાબત એ છે કે સ્લમડોગ અગાઉ ભારતમાંથી અનેક ફિલ્મો ઓસ્કાર માટે મોકલાઈ હતી. જોકે તેમાંથી એક પણ ફિલ્મને ક્યારેય કોઈ નાનકડો એવોર્ડ પણ ધરવામાં નહોતો આવ્યો. જે ગાંધી ફિલ્મના કોસ્ચ્યુમ ડીઝાઈનર ભાનુ ઔથૈયા ઓસ્કાર મેળવીને ખુશ થયા કરે છે તે ફિલ્મ પણ વિદેશી દ્વારા બનાવાઈ હતી. તાજેતરના ભૂતકાળમાં ઓસ્કાર માટે મોકલાયેલી કેટલીક ફિલ્મોમાં લગાન, રંગ દે બસંતી, તારે ઝમીન પર અને એકલવ્યમાંથી લગાન અને રંગ દે બસંતી સાથે ઓસ્કારના કર્તાહર્તાઓએ ખરેખર ભયાનક  અન્યાય કર્યો હતો. એનું એક માત્ર દેખીતું કારણ બંને ફિલ્મોની કથામાં ગોરા લોકો ખાસ કરીને બ્રિટિશરો સામેની લડતને મુખ્ય રીતે દર્શાવાઈ હતી. રંગ દે બસંતીમાં ગુલામ ભારતની કથાને આજની યુવા પેઢીના વિચારો સાથે તથા લગાનમાં બ્રિટિશરોની અત્યંત પાશવી ગુલામી માનસિકતાને દર્શવાઈ હતી.

બંને ફિલ્મો સ્લમડોગ કરતાં ઘણે અંશે ચઢિયાતી અને વાસ્તવિક્તાની વધુ નજીક હતી. જ્યારે એકલવ્યનું ઓસ્કાર માટે નોમિનેશન વહાલાં-દવાલાંની નીતિને કારણે થયું હોવાનું જગજાહેર છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં કેટલીક આકસ્મિક યોગાનુયોગ ઘટનાઓ બનતી હોય છે પરંતુ સ્લમડોગની જેમ એક જ સમયે આટલાંબધી ઘટનાઓ બનવી તે ચમત્કારથી કંઈ કમ નથી.

 

 

 

Wednesday, February 4, 2009

ભારતની ખરી નોન પર્ફોર્મિંગ એસેટ્સ

દેશમાં વધી રહેલા આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદ જેવા જાત જાતના વાદનો નાશ કરવા માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરી તેમાં દરેક ધર્મના હટ્ટા-કટ્ટા સાધુ સંતોને સવેતન ભરતી કરવા જોઈએ



વૈશ્વિક મંદીના વર્તમાન સમયમાં ઘણાંખરા પશ્ચિમી દેશોની બેન્કોએ દેવાળું ફૂક્યું છે. આ બેન્કોના ડૂબવા પાછળના અનેક કારણોમાંનું એક નોન-પર્ફોર્મિંગ એસેટ્સ છે. નોન-પર્ફોર્મિંગ એસેટ્સ એટલે બિન કાર્યક્ષમ સંપત્તિ. જે લોનના વ્યાજ કે હપ્તાની ચૂકવણી તેની નિયત સમયમર્યાદામાં ના કરવામાં આવી હોય તો તેવી સંપત્તિને બિન કાર્યક્ષમ સંપત્તિ કહે છે. એનપીએની આ આર્થિક વ્યાખ્યા છે(1). આ બાબતને વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો એનપીએનો ખ્યાલ માત્ર નાણાકીય ક્ષેત્ર પુરતો મર્યાદિત નથી. સમાજના દરેક વર્ગમાં એવા અનેક લોકો છે જેમની ઉત્પાદકતા લગભગ શૂન્ય છે. એટલું જ નહીં પણ તેમના નિભાવનો ખર્ચ વધુ મોંઘોં છે.
સંતો અને સંસ્કૃતિની ભૂમિ તરીકે વિખ્યાત ભારતમાં હાલ સંતો જ દેશની સૌથી મોટી એનપીએ બની ગયાં છે. ભારતની કુલ વસતિમાં હિન્દુઓ અને મુસ્લિમોની સંખ્યા સૌથી વધારે છે. એટલે સ્વાભાવિક છે કે ધર્મમાં સૌથી વધુ આસ્થા રાખતાં આ બંને ધર્મોમાં ધર્મગુરુઓની સંખ્યા પણ વધારે જ હોવાની. દેશની આશરે એક અબજ કરતાં પણ વધુ વસતિમાં નાખી દેતાંયે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન અને અન્ય ધર્મોના ધર્મગુરુઓ કે સંતોની સંખ્યા આશરે પાંચ લાખ જેટલી હશે. આ પાંચ લાખ લોકોમાંથી ખરેખર સંત કહી શકાય એવા આંગળીને વેઢે કે આંગળીઓના વેઢે ગણાય તેટલાં હશે. બાકીના લોકો તો માત્રને માત્ર ધર્મના નામે લોકોના પૈસે તાગડધિન્ના કરી ખાય છે. આ એવા લોકો છે જેમને કંઈ કામ ધંધો કરવો નથી અને માત્ર મફતના રોટલા ખઈ જલસાં કરવા છે. ચમત્કાર અને ભગવાનની કૃપાના નામે લોકોને મૂર્ખ બનાવતા આ લોકો સમાજની સૌથી મોટી એનપીએ છે.
ભારત જેવા વિકાસશીલ દેશમાં પાંચ લાખ જેટલી વસતિ સાવ નિષ્ક્રિય રહે અને બીજા પર બોજ બને તેનાથી વધારે ખરાબ શું હોઈ શકે. આખો દિવસ ધર્મસ્થાનમાં પડ્યાં રહેવાનું અને કરવાનું કંઈ નહીં. જોકે કેટલાંક સંતો ખરેખર સામાજિક ઉત્થાન માટે કાર્યો કરતા હોય છે પણ તેમની સંખ્યા નહીંવત્ છે. ઘણાં એવા લોકો છે કે જેઓ કોઈ કામ ધંધો ના કરવો પડે એટલે છેવટે સાધુ બની જાય છે. ધર્મને બદનામ કરતાં આવા લોકોને કારણે અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો સંત જેવા પવિત્ર હોદ્દાને હિનતાની દ્રષ્ટિએ જુવે છે. એટલું જ નહીં પણ સંત માટે બાવા કે સાધુડો જેવા અપમાનજક શબ્દો પણ વાપરતાં ખચકાતા નથી. ઘરે ધરે ભિક્ષા માગવા આવતા સાધુ-સંતોની સામે તો હવે લોકો સાવ તિરસ્કારભરી નજરે જુવે છે.

પૈસા, પ્રસિદ્ધિ અને હરામનું ખાવા માટે સાધુ બનેલાં લોકોને કારણે ધર્મમાં પેઠેલાં સડાંના અનેક કિસ્સાઓ અવાર-નવાર પ્રકાશમાં આવતા રહે છે. જેને લીધે ધીમે ધીમે લોકોની ધર્મ પ્રત્યેની અથવા તો સાધુ-સંતો પ્રત્યેની આસ્થા ડગી જાય છે.
ધર્મ હોય કે પેઢી તેની યોગ્ય કામગીરી માટે યોગ્ય વ્યવસ્થા અને વ્યવસ્થાપકો હોવા જરૂરી છે. આજકાલ તો લેભાગુ લોકોએ ધર્મને જ પૈસા કમાવવાની પેઢી બનાવી દીધી છે.
આ એનપીએ ઘટાડવાનો એક ઉપાય જે મને દેખાય છે તે એ છે કે તમામ ધર્મોએ સાધુ બનવા માગતા પોતાના સંપ્રદાયના લોકોની પરિક્ષા લેવી જોઈએ. જેમાં પાસ થનારા લોકોને જ સાધુ બનવાની મંજૂરી મળવી જોઈએ. એટલું જ નહીં પણ આ પરિક્ષામાં બેસવાની લાયકાતો પણ કડક રાખવાની જેથી ગમે તેવી અણઘડ વ્યક્તિ તેમાં ઘૂસી ના જાય. આ ઉપરાંત દેશમાં વધી રહેલા આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદ જેવા જાત જાતના વાદનો નાશ કરવા માટે અલગ ટાસ્ક ફોર્સની રચના કરી તેમાં દરેક ધર્મના હટ્ટા-કટ્ટા સાધુ સંતોને સવેતન ભરતી કરવા જોઈએ.
આમેય આ સાધુ સંતોના કહેવા મુજબ તેમનું મૂળ કામ તો માનવ જાતની સેવા કરવાનું જ છે ને તો આ સેવા કરવા માટે તેમણે ભક્તિની જગ્યાએ થોડો અલગ માર્ગ અપનાવવાનો. તેનાથી દેશને તેમની સેવાનો લાભ તો મળશે અને સાથે સાથે જ દેશમાં શાંતિ સ્થાપવામાં પણ મદદ મળશે.


(1)( A comparative study of Non Performing Assets in India in the Global context - similarities and dissimilarities, remedial measures A paper by By Prashanth K Reddy October 2002 Prashanth K Reddy The Indian Institute of Management Ahmedabad, India )

Tuesday, February 3, 2009

પ્રજાના સંત્રી એવા મંત્રીઓ મિલ્કત જાહેર ના કરે તો પ્રજાએ ઈન્કમટેક્સ ભરવાનો બહિષ્કાર કરવો જોઈએ


ધુપ્પલનું બીજું નામ ભારત છે. સંસ્કૃતિ, લાગણી અને માનવતાના નામે દેશની ડફોળ અને નઘરોળ પ્રજા(જેમાં મારો પણ સમાવેશ થાય છે)ને ઉલ્લું બનાવતા ભ્રષ્ટ નેતાઓ અને વગદાર લોકોના તમામ ગુના અહીં યેનકેન પ્રકારે માફ થઈ જાય છે. સામાન્ય માણસ મહેનત કરી પૈસા કમાય અને ઈન્કમટેક્સવાળા તેની બોચી પકડીને વર્ષે ખીસ્સાં ખંખેરી લે, પણ જો કોઈ નેતા કે કોઈ મોટો વગદાર માણસ કરચોરી કરે તો તેને ભાગ્યે જ કંઈ સજા કરવામાં આવે છે. તાજેતરમાં જ વડાપ્રધાન કાર્યાલયે એક સામાન્ય નાગરિક (સુભાષચંદ્ર અગ્રવાલ) દ્વારા માહિતીના અધિકાર હેઠળ માગવામાં આવેલી કેન્દ્રિય મંત્રીઓની અને તેમના લાગતાં-વળગતાઓની સંપત્તિની માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ માટે તેઓએ કાયદામાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કર્યો. વહીવટમાં પારદર્શિતા અને લોકકલ્યાણની ભાવનાઓની સૂફીયાણી વાતો કરતાં નેતાઓ અને અધિકારીઓ આ રીતે કેવી પારદર્શિતા દર્શાવી રહ્યા છે તે તો ભગવાન જાણે. પણ એક વાત તો નક્કી છે કે જ્યાં તેમની પોલ પકડાઇ જવાની બીક લાગે ત્યાં તેઓ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી પોતાની જાતને બચાવી લે છે. કાયદો સૌના માટે સમાન છે, કાયદાની ઉપર કે કાયદાથી પર કોઈ નથી જેવી ડાહી ડાહી વાતો માત્ર મારા અને તમારા માટે જ છે. થોડાં સમય પહેલાં તમામ મીડિયામાં સમાચાર ચમક્યાં હતા કે વડાપ્રધાન પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યુ કરવા જાતે જ આરટીઓ કચેરી ગયા. પણ કોઈ ભડવીરે એ બાબતની નોંધ ના લીધી કે વડાપ્રધાન ગયા તેના કેટલાં દિવસ કે કલાકો અગાઉ કચેરીમાં સામાન્ય માણસને પ્રવેશવા પર જાત-જાતની પાબંદીઓ લગાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં પણ કોઈએ એ વાતની પણ તપાસ ના કરી કે ભ્રષ્ટાચારમાં પોલીસ ખાતાને પણ પાછળ છોડી દે તેવા આરટીઓ વિભાગે વડાપ્રધાનનું લાઈસન્સ રિન્યુ કર્યા પહેલાં તેમની ટેસ્ટ લીધી હતી કે નહીં.
પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં રાજાશાહી શાસન વ્યવસ્થા દરમિયાન રાજા અને તેના પરિવારજનો જે વિશેષાધિકારો અને સવલતો ભોગવતા હતા તે તમામ અને કદાચ તેના કરતાં અનેકગણી વધારે સવલતો અત્યારના નેતાઓ ભોગવે છે. નાગરિકો દ્વારા ભરવામાં આવતા કરના નાણાંનો ઉપયોગ વિકાસ કાર્યમાં થવો જોઈએ તેના બદલે તેઓ આ નાણાંનો ઉપયોગ સ્વ-વિકાસમાં કરે છે.
સાચી વાત એ છે કે નેતાઓને પોતાની મિલકતોની વિગતો જાહેર કરવામાં પોતાના પાપ ખુલ્લાં પડી જવાની બીક લાગી રહી છે. રાજકારણમાં પ્રવેશ પહેલા અને પછીના વર્ષોની તેમની સંપત્તિ વચ્ચેની સરખામણી કરવામાં આવે તો ખરેખર એમ થાય કે આના કરતાં તો રાજાશાહી વધુ સારી હતી.

ઈચ્છે ત્યારે પોતાના પગાર અને ભથ્થાંમાં મનફાવે તેટલો વધારો કરી દેતાં આ વર્તમાન અને વધુ શોષણખોર, ખઉધરા રાજાઓને સબક શિખવાડવા દરેક કરદાતાએ કર ભરવાનો બહિષ્કાર કરવાની જરૂર છે. આપણાં પૈસે તાગડધિન્ના કરતાં અને દેશના વિકાસને રુંધતા આવા નેતાઓની સાન ઠેકાણે લાવવા માટે આ અત્યંત જરૂરી છે.

Monday, February 2, 2009

વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ગુચ્ચમ

છેલ્લાં કેટલાંક સમયથી ગુચ્ચમ શબ્દ મારી બોલચાલનો એક ભાગ થઈ ગયો છે. સામાન્ય વાતચીતમાં પણ ક્યાંકને ક્યાંક તેનો પ્રયોગ અનાયસે જ થઈ જાય છે. શરૂઆતમાં મિત્રો સાથેની વાતચીત દરમિયાન કાને પડેલો આ શબ્દ સાંભળવામાં મજા આવી અને ક્યારે તે મારી રોજિંદી બોલચાલનો ભાગ થઈ ગયો તેનો ખ્યાલ જ ના રહ્યો. ઘણાં દિવસો સુધી વાતવાતમાં આ શબ્દનો ઉપયોગ કર્યા પછી એકાએક જ તેના વિશે વિચારતા તેની વ્યાપકતા વિશે આંશિક ખ્યાલ આવ્યો.
ગુચ્ચમ. ગુજરાતમાં મકરસક્રાંતિ કે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનું ખુબ જ મહત્વ છે. પતંગ ચગાવતી વખતે ઘણીવાર દોરી અથવા માંજો એક જ જગ્યાએ ભેગો થઈ જવાને લીધે તેમાં સરળતાથી ના ઉકેલી શકાય તેવા વળ પડી જાય છે. જેને સામાન્ય બોલચાલની ભાષામાં ગૂંચ કે ગુચ્ચમ કહે છે. ગૂંચ શબ્દ ગૂંચવણ પરથી ટૂંકાઈને બનેલો છે. જેનો અર્થ :
ગૂંચવવું કે ગૂંચવાવું, આંટીઘૂંટી અથવા તો જેમાંથી ઉકેલ કાઢવો મુશ્કેલ થઈ પડે તેવી પરિસ્થિતિ એવો થાય છે.
આજના ભાગદોડભર્યા જીવનમાં દરેક જણ નાની મોટી ગુચ્ચમમાં ફસાયેલો હોય છે. દરેક વ્યક્તિની પોતાની ગુચ્ચમ હોય છે અને તેના જુદાં-જુદાં કારણો હોય છે. એટલું જ નહીં પણ દરેકને બીજાન સરખામણીએ પોતાની ગુચ્ચમ વધુ જટિલ અને ઉકેલી ના શકાય તેવી લાગતી હોય છે. દરેક પોતાની રીતે તેનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહે છે. આજે એક ગુચ્ચમ ઉકેલી તો વળી કાલે બીજી કોઈ ગુચ્ચમ આવી જાય છે. વળી એવું પણ બને કે અગાઉની ગુચ્ચમ કરતાં નવી ગુચ્ચમ વધુ જટિલ હોય, અથવા તો વધુ સરળ હોય. આમ રોજે રોજ પેદા થતી ગુચ્ચમો અને તેના ઉકેલો શોધી આગળ વધવાનું નામ જ જીવન છે.