Showing posts with label boycott of tax. Show all posts
Showing posts with label boycott of tax. Show all posts

Tuesday, February 3, 2009

પ્રજાના સંત્રી એવા મંત્રીઓ મિલ્કત જાહેર ના કરે તો પ્રજાએ ઈન્કમટેક્સ ભરવાનો બહિષ્કાર કરવો જોઈએ


ધુપ્પલનું બીજું નામ ભારત છે. સંસ્કૃતિ, લાગણી અને માનવતાના નામે દેશની ડફોળ અને નઘરોળ પ્રજા(જેમાં મારો પણ સમાવેશ થાય છે)ને ઉલ્લું બનાવતા ભ્રષ્ટ નેતાઓ અને વગદાર લોકોના તમામ ગુના અહીં યેનકેન પ્રકારે માફ થઈ જાય છે. સામાન્ય માણસ મહેનત કરી પૈસા કમાય અને ઈન્કમટેક્સવાળા તેની બોચી પકડીને વર્ષે ખીસ્સાં ખંખેરી લે, પણ જો કોઈ નેતા કે કોઈ મોટો વગદાર માણસ કરચોરી કરે તો તેને ભાગ્યે જ કંઈ સજા કરવામાં આવે છે. તાજેતરમાં જ વડાપ્રધાન કાર્યાલયે એક સામાન્ય નાગરિક (સુભાષચંદ્ર અગ્રવાલ) દ્વારા માહિતીના અધિકાર હેઠળ માગવામાં આવેલી કેન્દ્રિય મંત્રીઓની અને તેમના લાગતાં-વળગતાઓની સંપત્તિની માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ માટે તેઓએ કાયદામાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કર્યો. વહીવટમાં પારદર્શિતા અને લોકકલ્યાણની ભાવનાઓની સૂફીયાણી વાતો કરતાં નેતાઓ અને અધિકારીઓ આ રીતે કેવી પારદર્શિતા દર્શાવી રહ્યા છે તે તો ભગવાન જાણે. પણ એક વાત તો નક્કી છે કે જ્યાં તેમની પોલ પકડાઇ જવાની બીક લાગે ત્યાં તેઓ કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી પોતાની જાતને બચાવી લે છે. કાયદો સૌના માટે સમાન છે, કાયદાની ઉપર કે કાયદાથી પર કોઈ નથી જેવી ડાહી ડાહી વાતો માત્ર મારા અને તમારા માટે જ છે. થોડાં સમય પહેલાં તમામ મીડિયામાં સમાચાર ચમક્યાં હતા કે વડાપ્રધાન પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યુ કરવા જાતે જ આરટીઓ કચેરી ગયા. પણ કોઈ ભડવીરે એ બાબતની નોંધ ના લીધી કે વડાપ્રધાન ગયા તેના કેટલાં દિવસ કે કલાકો અગાઉ કચેરીમાં સામાન્ય માણસને પ્રવેશવા પર જાત-જાતની પાબંદીઓ લગાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં પણ કોઈએ એ વાતની પણ તપાસ ના કરી કે ભ્રષ્ટાચારમાં પોલીસ ખાતાને પણ પાછળ છોડી દે તેવા આરટીઓ વિભાગે વડાપ્રધાનનું લાઈસન્સ રિન્યુ કર્યા પહેલાં તેમની ટેસ્ટ લીધી હતી કે નહીં.
પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં રાજાશાહી શાસન વ્યવસ્થા દરમિયાન રાજા અને તેના પરિવારજનો જે વિશેષાધિકારો અને સવલતો ભોગવતા હતા તે તમામ અને કદાચ તેના કરતાં અનેકગણી વધારે સવલતો અત્યારના નેતાઓ ભોગવે છે. નાગરિકો દ્વારા ભરવામાં આવતા કરના નાણાંનો ઉપયોગ વિકાસ કાર્યમાં થવો જોઈએ તેના બદલે તેઓ આ નાણાંનો ઉપયોગ સ્વ-વિકાસમાં કરે છે.
સાચી વાત એ છે કે નેતાઓને પોતાની મિલકતોની વિગતો જાહેર કરવામાં પોતાના પાપ ખુલ્લાં પડી જવાની બીક લાગી રહી છે. રાજકારણમાં પ્રવેશ પહેલા અને પછીના વર્ષોની તેમની સંપત્તિ વચ્ચેની સરખામણી કરવામાં આવે તો ખરેખર એમ થાય કે આના કરતાં તો રાજાશાહી વધુ સારી હતી.

ઈચ્છે ત્યારે પોતાના પગાર અને ભથ્થાંમાં મનફાવે તેટલો વધારો કરી દેતાં આ વર્તમાન અને વધુ શોષણખોર, ખઉધરા રાજાઓને સબક શિખવાડવા દરેક કરદાતાએ કર ભરવાનો બહિષ્કાર કરવાની જરૂર છે. આપણાં પૈસે તાગડધિન્ના કરતાં અને દેશના વિકાસને રુંધતા આવા નેતાઓની સાન ઠેકાણે લાવવા માટે આ અત્યંત જરૂરી છે.